સુરતમાં હતી ૩૫૦૦ વર્ષ પહેલાં વસ્તી! – Surat’s population was 3500 years ago!

કામરેજ નજીક જોખા, ધાતવા અને ડુમસ નજીક માલવણમાંથી જુની સભ્યતાના પુરાવા મળ્યા છે, ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની આ જગ્યાઓ વિશે ગામના લોકો પણ જાણતા નથી, કામરેજનો સમાવેશ તો આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાના પ્રાચીન મોન્યૂમેન્ટ્સની યાદીમાં છે પરંતુ તેનો વિકાસ કરાયો નથી કે તેનું સરંક્ષણ પણ નથી કરાતું

મહાભારતમાં ઉલ્લેખ છે કે મથુરાથી દ્વારકા જતી વખતે શ્રીકૃષ્ણ સુરત આવ્યા હતા. આ વાત કદાચ ઈતિહાસકારો મિથ કહીને ફગાવી દે પરંતુ એક હકીકત પુરાવા સાથેની છે કે કામરેજ અને ડુમસ નજીકના ગામોમાં ૩થી ૪ હજાર વર્ષ પહેલા માનવવસ્તી હતી. તે પણ આદિમાનવોની નહીં પરંતુ વિકસિત ગામોની. આ ગામોમાંથી ગુજરાતની અન્ય જગ્યાઓ જેવી કે અમદાવાદ નજીક લોથલ અને કચ્છની રંગપુરના જેવી જ વસ્તી હતી.

આ ગામો છે કામરેજ નજીક આવેલા જોખા અને ધાતવા તથા ડુમસ નજીક આવેલું માલવણછે.જોખા અને ધાતવા ગામમાં એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના પ્રોફેસર આર. એન. મહેતાએ ૧૯૬૬-૬૭માં ઉત્ખનન કર્યું હતું. માલવણ ગામમાંથી પણ કેટલાંક પુરાતત્વ અવશેષો કેમ્બ્રિજ યુનિવર્સિટીના એફ. આર. અલ્ચિન અને આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાના જે. પી. જોશીના માર્ગદર્શન હેઠળ ૧૯૬૭-૬૮માં ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યાં હતા.

કોઈક નાનું જુથ રહેતું હશે

ધાતવા, જોખા અને માલવણમાં જે વસ્તુઓ મળી આવી છે તે ઉપરથી કહી શકાય કે ત્યાં ગામડું હશે. પ્રો. કે. ક્રશિ્નન, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, એમ.એસ. યુનિ.

આ ગામોમાં મળેલી વસ્તુઓથી સાબિત થાય છે કે હડપ્પા અને મોહજોદારો સમયમાં જેમ ગુજરાતમાં લોથલ, રંગપુરમાં માનવ વસ્તી હતી તે રીતે અહીં પણ હશે. જોકે, કોઇ મોટું સ્ટ્રકચર અહીં મળતુ ન હોવાથી ત્યાં ત્યાં પર્યટન માટે કોઇ સાઇટ વિકસાવી શકાઇ નથી અહીં કોઇ નાનું જુથ રહેતું હોવાની શક્યતા છે.
ભામિની મહિડા, ચીફ ક્યુરેટર-સાયન્સ સેન્ટર.

ગામના લોકો જ નજીકના પ્રાચીન ઈતિહાસથી અજાણ

જોખામાં ટીમ્બો

કામરેજથી ૬ કિમીના અંતરે જોખા ગામ આવ્યું છે. અહીંથી ૨૦૦ મીટર ઉત્તરે અને ૧.૫ મીટરની ઊંચાઇએ સાવામોરા કે ગભાણ વિસ્તાર આવેલો છે. ત્યારે અહીં એક ટીમ્બો (નાનકડો પહાડ) મળી આવ્યો હતો, જેના ખોદકામ વખતે ત્યાંથી ખીલી, રિંગ, પ્લેટ, બંગડી જેવી તાંબાની વસ્તુઓ મળી આવી હતી.

ધાતવામાં રૂંઢીમોરા

ધાતવાથી દક્ષિણે બે કિમીના અંતરે રૂંઢીમોરા નામનો ટેકરો છે, જેની ઊંચાઇ લગભગ ૨.૭૫ મીટર અને ઘેરાવો ૧૫૦ મીટરનો છે.અહીંથી તાંબુ, હાડકાં, છીપલાં, માટીનાં રમકડાંઓમાં-સ્ત્રીનું પૂતળું, બળદ, બકરીનાં પૂતળાં, લખોટીઓ, પૈંડાં, ચક્ર, તકલી તેમજ બુટ્ટી, પેન્ડલ અને મણકા જેવાં આભૂષણોે મળ્યાં હતાં.

ડુમસ નજીક માલવણ

ડુમસ નજીક માલવણમાં માટીનું સ્ટ્રકચર મળ્યું છે. આ ખાડાની દક્ષિણે નાના ખાડા, નાની વાડ તથા ભઢ્ઢીઓ મળી હતી. બળદનાં હાડકાં તેમજ છ પ્રકારની માટીનાં ઠીકરાં ઉપરાંત જાસ્પરના પથ્થરમાંથી બનેલી પતરીઓ અને મોટી સંખ્યામાં ધારદાર ઓજારો ઉપરાંત તાંબા-કાંસાની બંગડીઓ મળી હતી.

સૌરાષ્ટ્ર અને સુરતમાં સામ્યતા

આકિeયોલોજી રિવ્યૂ ૧૯૬૭-૬૮ના અંકમાં ઉલ્લેખ કરાયો છે કે ધાતવામાં ઇ.સ. પૂર્વે ૧૫૦૦ માનવવસ્તી હતી. ત્યાંથી મળેલા અવશેષો બતાવે છે કે તે વખતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સુરત નજીકની સંસ્કૃતિમાં સામ્ય હતું. ઇ.સ. પૂર્વે ૫૦૦માં તો અહીં લોઢું ગાળવાની ભઢ્ઢી પણ હતી.

કામરેજ પ્રાચીન યાદીમાં

આર્કિયોલોજિલ સરવે ઓફ ઇન્ડિયાની ગુજરાતના પ્રાચીન મોન્યુમેન્ટની યાદીમાં ૧૮૧ નંબર પર કામરેજનો સમાવેશ કરાયો છે. સુરતના અન્ય મોન્યુમેન્ટ્સમાં ખ્વાજા દાના સાહેબની દરગાહ, ડચ, આર્મેનિયન અને અંગ્રેજ કબ્રસ્તાન અને ખ્વાજા સફર સુલેમાનીની દરગાહ પણ સામેલ છે.

ધાતવા, જોખાનાં ઓજારોની ઓળખ

ધાતવા, જોખા ગામમાંથી પથ્થરોનાં ઓજારો,રમકડાંઓ અને ઘરેણાં પણ મળી આવ્યાં છે.

 

Source “Divya Bhaskar”

Leave a comment